ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તો માટે અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. અહીં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રહેલા શિવભક્તો દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવીને શિવલિંગના દર્શન કરી ધાર્મિક ધન્યતા અનુભવે છે.
ભરૂચથી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, નર્મદા નદીના કિનારે વસેલું આ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધાનો પ્રેરક બિંદુ છે. મંદિરના પરિસરમાં ઘણી ગુફાઓ આવેલી છે, જ્યાં દૂર-દૂરથી આવેલા સાધુ-સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે. નર્મદા નદીના સંગમસ્થળ પર આવેલ આ પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે.હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 700થી વધુ કાવડિયાઓ જયારે ઝાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આખું મંદિર પરિસર “ઓમ નમઃ શિવાય”ના નાદોથી ગુંજી ઉઠ્યું હતું.પરંતુ આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નથી – મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે ભક્તોને ઉઘાડા પગે કંટાળાજનક સફર કરવી પડે છે. ઘણા જગ્યાએ ખાડા અને તુટેલા રસ્તાના કારણે ભક્તોને જોખમ પણ ઉભું થાય છે. કાવડ યાત્રાળુઓએ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરે.ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર ઘણી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ આવેલી છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રસ્તાની સારી સુવિધા અતિઆવશ્યક છે.