
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ કમળનું ફૂલ ઊંધું લટકાવીને રેલી સ્વરૂપે તાલુકા પંચાયતને તાળા બંધી કરવા માટે આગે કૂચ કરી હતી.પરંતુ પોલીસ દ્વારા આગેવાનોને કચેરી પહોંચતા પહેલાં જ પોલીસે અટકાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે,“આમોદ તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ મનરેગા, નલ સે જલ, શૌચાલય અને અન્ય વિકાસ કાર્યોમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે.અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે ગરીબો અને ખેડૂતો ને મળવાપાત્ર લાભોથી વંચિત રહેવું પડે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,“અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી. તેમજ તાલુકા પંચાયત ખાતે નિયમિત T.D.O. ની નિમણૂક ન થવાથી વહીવટી કામગીરી ઠપ થઇ ગઈ છે.”
કોંગ્રેસે આ સમગ્ર મામલે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માગણી કરી છે. સાથે જ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવા તથા નિયમિત T.D.O. ની નિમણૂક કરવા માંગ કરી છે.
કોંગ્રેસના આગેવાનોએ પોલીસની કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, “અટકાયત લોકશાહી હક્કોનું દમન છે અને લોકતંત્ર માટે શરમજનક છે.” પક્ષે ચેતવણી આપી છે કે જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટા આંદોલનનું એલાન કરવામાં આવશે.

