કિમ નદી ના ઉપર વાસ માં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસતા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના નીર નો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ કીમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરમાં પણ પાણી ફરી વળ્યા હતા. હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વર થી સુરત ને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. કિમ નદી ના જળસ્તર વધવાને લઇ ખેતરો માં પાક ને નુકસાન થવા સાથે વાવણી માટે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે.