ડામર મશીનમાંથી નીકળતા ભારે ધુમાડાના કારણે બાગમાં ફરવા આવતા લોકો તેમજ લાદીધારકો પરેશાન થયા છે.

અંકલેશ્વરના જવાહર બાગ પાસે ચાલી રહેલી ડામર કામગીરી દરમિયાન મશીનમાંથી સતત ધુમાડો નીકળતા સમગ્ર વિસ્તાર પ્રદૂષિત બની ગયો છે. આ ધુમાડાના કારણે સાંજના સમયે બાગમાં વોક માટે અને ફરવા આવતા લોકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.
ખાસ કરીને જવાહર બાગમાં લાદી લગાવી રોજગાર ચલાવતા વેપારીઓને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ધુમાડાના કારણે ગ્રાહકો લાદી પર આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર પડી છે.

સ્થાનિકોનું કહેવું છે કે ડામર કામગીરી જરૂરી છે, પરંતુ દિવસ દરમિયાન આ કામ થવાથી સ્વાસ્થ્ય અને ધંધા બંનેને નુકસાન થઈ રહ્યું છે.સ્થાનિક લોકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે કે ડામર રોડનું કામ રાત્રે ૧૧ વાગ્યા પછી કરવામાં આવે, જેથી દિવસ દરમિયાન જનતાને કોઈ તકલીફ ન પડે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ માંગને કેટલી ગંભીરતાથી લે છે.

