
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઇ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે. જેના કારણે ઝાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનાર નાગરિકો માટે ફરવા લાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવા અંગે તંત્રને અપીલ કરવામાં આવી હતી. રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા 31 ડિસેમ્બરના ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.વહીવટી તંત્રના આ નિર્ણયને આવકારતા આરટીઆઇ એક્ટિવિસ્ટોના સભ્યોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળોના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

